Mycosphaerella areola
ફૂગ
5 mins to read
લક્ષણો સામાન્ય રીતે વિકાસની ઋતુના અંતમાં વધુ દેખાય છે. વૃદ્ધ પાંદડા પર નાના, આછા લીલાથી પીળા રંગના, નસો દ્વારા મર્યાદિત, ખૂણીયા ડાઘ જોવા મળે છે. નીચેની બાજુ પર ફોલ્લીઓ પર સફેદ પાવડરી ફૂગની વૃદ્ધિ થાય છે. ઊંચા ભેજની સ્થિતિ દરમિયાન, બંને સપાટીઓ સફેદ ફૂગના ફેલાવાથી ઢંકાયેલી હોય છે. ભારે અસરગ્રસ્ત પાંદડા નેક્રોટિક, વાંકા અને સૂકા બની જાય છે, છીકણી-લાલ રંગ જેવા દેખાય છે અને અકાળે ખરી પડે છે. આમ થવાના કારણે છોડ અને તેની ઉત્પાદકતા નબળી બને છે. યુવાન પાંદડા પર પણ લક્ષણો દેખાવાનું શરૂ થાય છે. સંક્રમિત બોલ શક્તિ ગુમાવે છે, ખેતી અને થ્રેશિંગ દરમિયાન અકાળે ખૂલી અથવા તૂટી જાય છે.
સ્યુડોમોનાસ ફ્લોરોસેન્સ (૧૦ ગ્રામ / કિગ્રા બીજ) ધરાવતા ઉત્પાદનો સાથે બીજની સારવાર કરી શકાય છે. દર ૧૦ દિવસે આ બેક્ટેરિયમ ધરાવતા સોલ્યુશનના છંટકાવથી ચેપમાં નોંધપાત્ર રીતે ઘટાડો થઇ શકે છે. અન્ય બેક્ટેરિયા (બેસિલસ સર્ક્યુલન્સ અને સેરેટીઆ માર્સેસેન્સ) નો ઉપયોગ માયકોસ્ફેરેલાની અન્ય જાતોને નિયંત્રિત કરવા અને અન્ય પાકમાં સંબંધિત રોગોને ઘટાડવા માટે કરવામાં આવે છે. એક લિટર પાણી દીઠ ૩ ગ્રામ દ્રાવ્ય સલ્ફરનો છંટકાવ અથવા હેક્ટર દીઠ ૮-૧૦ કિ.ગ્રા. સલ્ફર પાવડરનો છંટકાવ પણ અન્ય વિકલ્પ છે.
જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. રોગના પ્રારંભિક તબક્કામાં અથવા ઓછી તીવ્રતામાં, જૈવિક સારવાર ઉપર વિચાર કરવો જોઈએ. રોગના આગળના તબક્કામાં અથવા વધુ તીવ્રતાના બનાવમાં પ્રોપિયોકોનાઝોલ અથવા હેક્સાકોનાઝોલ (૨ મિલિગ્રામ / લિ) ધરાવતા ફૂગનાશકો નાખવાની ભલામણ કરવામાં આવે છે. એક સપ્તાહ કે ૧૦ દિવસ પછી આ સારવાર ફરીથી કરો.
લક્ષણો ફૂગના માયકોસ્ફેર્રેલા ઇરોલા દ્વારા થાય છે, જે છોડના કચરા અથવા અગાઉની ઋતુના છોડ પર અસ્તિત્વ ધરાવે છે. તથા નવી ઋતુમાં ચેપનો મુખ્ય સ્ત્રોત બને છે. ૨૦-૩૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાન, ભેજવાળી પરિસ્થિતિઓ (૮૦% અથવા વધુ) અને અવારનવાર વરસાદી પાણીથી ચેપ અને રોગની પ્રગતિને પ્રોત્સાહન આપે છે. ઠંડા હવામાનમાં ઘણા દિવસો સુધી ઝાકળ પડવાથી, વરસાદની ગેરહાજરીમાં પણ ફૂગને પ્રોત્સાહન મળે છે. બીજકણ પાંદડાના જખમોમાં ઉત્પન્ન થાય છે અને ત્યારબાદ પવન દ્વારા તંદુરસ્ત છોડમાં પરિવહન પામે છે, જેના પરિણામે ચેપ લાગે છે. ઋતુના પાછલા સમયમાં, બોલ આવ્યા પહેલાં અથવા તે દરમિયાન છોડ વધુ નબળા હોય છે.